Thursday, 28 May 2015

સાત વર્ષમાં સાત ભવનું ભાથું


31 ઓક્ટોબર 1986થી લઈ 30 મે 2008 અને 31 મે 2008થી લઈ આજ સુધી. આ બે કાળખંડમાં વહેંચાયેલી છે મારી જિંદગી. બે કાળખંડ એટલા માટે કેમ કે, પહેલા કાળખંડમાં માત્ર હું જનમ્યો અને મોટો થયો.પરંતુ બીજા કાળખંડમાં હું ખરી રીતે જનમ્યો અને ખરા અર્થમાં મોટો થયો. હા, પહેલા કાળખંડ સુધીમાં શારીરિક રીતે તો હું સંપૂર્ણ વિકસી ચૂક્યો હતો. પણ જો માનસિક વિકાસની વાત કરીયે તો બેશકપણે આ લાભ મને મળ્યો જિંદગીના બીજા કાળખંડમાં.

કેટલાક દિવસો એવા હોય છે જે આપણા માટે સ્પેશિયલ હોય છે અથવા ભૂલવા છતા ભૂલી શકાતા નથી. આવો જ એક દિવસ મારે માટે છે 29 મે 2008નો એ દિવસ કે જ્યારે ધૂળિયા જસદણના ધૂળ ખાતા બસ સ્ટેશનથી રાજકોટ જતી બસમાં પગ માંડ્યો હતો. એ પગલા ખરેખર તો જસદણ-રાજકોટ લોકલ બસમાં મેં માંડ્યા ન હતા પરંતુ એક નવી જ જિંદગી અને નવી જ દુનિયામાં મારા પગલાં પડ્યાં હતા. એકના એક પુત્રને જાણે જંગમાં મોકલતા હોય તેવી રીતે માતા રડતી હતી,બહેન લાગણીશીલ થઈ ગઈ હતી,પિતાને દુખ તો ન હતું પરંતુ થોડી ચિંતા જરૂર હતી. હા, એ વાતનો આનંદ પણ ખરો કે જેને પોતે ખોટો હીરો ગણતા હતા તે હવે કમાવા લાગશે. હું પણ ખુશ હતો કે ચાલો એક દોજખભરી જિંદગીથી છૂટ્યો, હવે કદાચ સોનાનો સૂરજ ઉગશે.અને બીજી ખુશી એ પણ હતી કે હું માતા પિતાનું નામ રોશન કરી રહ્યો હતો. હવે હું નોકરી કરીશ, બે પૈસા કમાઈશ,ઘરની ભૂખ ભાંગીશ.એ લોકલ બસ છૂટી અને એ જ ક્ષણથી બદલાઈ મારી જિંદગી.


કાળખંડ નં 2

તારીખ -31 મે 2008
સમય - પોણા અગિયાર
સ્થળ  -સિકંદરાબાદ રેલવે સ્ટેશન

આજથી છ દાયકા પહેલા નીલ આર્મસ્ટ્રોંગ નામના એક બંદાએ પહેલી વખત જ્યારે ચંદ્ર પર પગ મૂક્યો હશે અને તેને જેવી લાગણી થઈ હશે કદાચ તેનાથી પણ વધુ આનંદીત હતો હું,કે જ્યારે મે સિકંદરાબાદની ભૂમિ પર પગ માંડ્યો. એ સાથે જ શરૂ થઈ ગયો મારી જિંદગીનો બીજો કાળખંડ. ઈ ટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં કોપી એડિટર-રીપોર્ટરની 7 હજાર રૂપિયાની નોકરી કરવા હું પહોંચ્યો હતો સિકંદરાબાદમાં. એ હતી મારી લાઈફની પહેલી ઓફિશિયલ નોકરી. ભાંગેલા-તૂટેલા રોડ ધરાવતા જસદણથી સીધો હું પહોંચી ગયો હતો ટ્વિન સિટી હૈદરાબાદના સિકંદરાબાદની પહોળી સડકો પર. રસ્તાની બન્ને બાજુના વૃક્ષો જાણે મને આવકારી રહ્યા હતા. એ માત્ર મારી લાઈફની જ નહિ પરંતુ મારી સાથે આવેલા એક ડઝન કરતા પણ વધુ `નોકરી વાંચ્છુકો'ની લાઈફની પહેલી નોકરી હતી. કદાચ મોટાભાગના લોકોની મનની સ્થિતિ મારા જેવી જ હતી. કશી ખબર ન હોય કે ક્યાં જવાનું છે,શા માટે જવાનું છે, કોના માટે જવાનું છે અને ક્યારે પાછા આવવાનું છે. આવી હાલત હતી બધાની. કમસેકમ મારી તો એવી જ હાલત હતી.

જાણે કોરી પાટી જેવો હતો હું. પણ મને ક્યાં ખબર હતી કે એ પાટીમાં મરોડદાર અક્ષરો લખાશે, જિંદગીની કક્કો બારાક્ષરીની છાપ ઉપસી આવશે અને અનુભવોના નીચોડ સમાન એબીસીડી છપાશે. એ નોકરીના ત્રણ વર્ષ કેવા ગયા તેની વાત તો પછી ક્યારેક કરીશ. પણ એટલું જરૂર કહીશ કે એ નોકરીમાં મે માત્ર મેળવ્યું છે. ઘણું બધુ મેળવ્યું છે,ઘણું બધુ પામ્યો છું,ઘણી બધી સિદ્ધિ હાંસિલ કરી છે, ઘણા બધા કારસ્તાનો કર્યા છે,ઘણી બધી મસ્તીઓ કરી છે અને ઘણા બધા તોફાનો આદર્યા છે. તો સવાલ એ થાય કે ત્યા મેં ગુમાવ્યું શું? જવાબ છે કશું નહિ. હું ત્યા કશું લઈને જ ગયો ન હતો તો ગુમાવવાનું પણ મારે કશું ન હતું. હા એ જસદણિયો જૂનો અને અણધડ પરેશ જરૂર ત્યા મૂકીને આવ્યો. અને જ્યારે મારા દિલની એકદમ નજીક એવા એ શહેરને છેલ્લી સલામ ભરી ત્યારે ત્યાથી લઈને આવ્યો મસમોટું અનુભવોનું ભાથું, મિત્રોનો ભારે ભરખમ સંપુટ,એટીએમ કાર્ડમાં પાંચ-સાત હજાર રૂપિયા, બચતના નામે પીએફની રકમ અને એ શહેરની ક્યારેય ન ભૂલી શકાય તેવી મહેંક. 

એ શહેર અને એ નોકરીએ મને મારી જાત સાથે મળાવ્યો.કોરી પાટી જેવો થઈને ગયો હતો અને ભરેલી નોટબૂક જેવો થઈને પાછો ફર્યો. એ ત્રણ વર્ષ દરમિયાન કોઈએ મને જિંદગીના પાઠ શીખવ્યા તો કોઈએ પાઠ આપ્યો. કોઈએ જમવાનું બનાવતા શીખવ્યો તો કોઈએ જમતા. જીવનના પહેલા કાળખંડમાં હું એ દરેક ભારતીય યુવાન જેવો હતો જેને ખબર ન હતી કે શું કરવું છે, શું નથી કરવું, ક્યાં જવું છે અને ક્યાં નથી જવું. પણ જિંદગીના એ બીજા કાળખંડમાં મારા જીવનની દિશા નક્કી થઈ ગઈ હતી. આત્મવિશ્વાસ વિહોણો હું આત્મવિશ્વાસથી તરબતર થઈ ગયો હતો. `હું કંઈક છું' એવો અહેસાસ મને એ ઈટીવી ગુજરાતી ન્યૂઝની નોકરીએ અપાવ્યો હતો.

ક્યારેક વિચાર આવે છે કે જો એ નોકરી મને ન મળી હોત તો હું આજે ક્યાં હોત? બની શકે કે કદાચ હાલની જિંદગી છે તેના કરતા જિંદગી વધુ બહેતર હોત. કદાચ ખરાબ પણ હોત.પરંતુ અનુભવોનું જે ભાથું મને એ ત્રણ વર્ષ દરમિયાન મળ્યું તે હું ત્રીસ વર્ષ સુધી પણ મેળવી શક્યો ન હોત.પહેલી નોકરી અને પહેલો પ્રેમ ક્યારેય ભૂલાતો નથી.એ વાત મારા કિસ્સામાં પણ સાચી પડી.ઈ ટીવી એક રીતે કહીયે તો મીડિયાની પાઠશાળા હતી.જ્યાં રોજ નવા નવા `ફાલ' આવતા અને સમાચારોની દુનિયાની સમજણ મેળવતા. એ પાઠશાળામાં હું મન મૂકીને ભણ્યો,ગણ્યો,ફૂલ્યો,ફાલ્યો,પડ્યો,ઉભો થયો,નાચ્યો,કૂદયો,હરખાયો,ઉદાસ થયો,એકલતા અનુભવ્યો,કોઈનો `ખાસ' થયો,કોઈને `ખાસ' બનાવી શક્યો. ત્રણ વર્ષના અભ્યાસ પછી એ પાઠશાળામાંથી બહાર નીકળ્યો ત્યારે પાસ થયો હતો કે ફેઈલ એ તો સાબિત કરવા કદાચ અડધી જિંદગી જતી રહેશે.ભલે એ ત્રણ વર્ષના શૈક્ષણિક પાઠ્યક્રમનું પરિણામ સ્પષ્ટપણે ન કહી શકું પરંતુ પરીક્ષા તો સારી રહી એ વાત છાતી ઠોકીને કહી શકું.

(ઈન્ટરવલ)

( ટીવી 9નો ઉલ્લેખ ન કરવાનું વિચાર્યુ હતું પણ પછી થયું કે સાત વર્ષના લેખાંજોખાંને અક્ષરોમાં ઉતારવા બેઠો છું તો શક્ય એટલું છૂટવું ન જોઈએ. એટલે ટીવી 9ની વાત પણ આ કૌંસમાં કરી દઉં છું.નિખાલસપણે કહું તો એ ત્રણ મહિનાનો સમય મારા માટે દુખદાયી રહ્યો.એ સમય દરમિયાન હોમ સીકનેસથી પીડાવાના કારણે હું બેચેન રહેવા લાગ્યો હતો,ખાવા પીવાનું ભૂલી ગયો હતો.લગભગ નાસીપાસ થઈ ગયો હતો.સ્થિતિ એટલી વિકટ હતી કે મારે મનોચિકિત્સકની મુલાકાત પણ લેવી પડી હતી અને તેણે આપેલા ટીકડા પણ ખાવા પડ્યા હતા.અંતે ડીપ્રેશનમાંથી નીકળવા કોઈ વિકલ્પ ન રહેતા મારે ટીવી 9 ને રામ રામ કરવાં પડ્યાં.નિખાલસપણે કહું તો ખરેખર હું પરિસ્થિતિથી ભાગી ગયો હતો.એ વાતનું દુખ આજે પણ મને છે.પણ ભવિષ્યમાં ફરી ટીવી 9 માં કામ કરવાની તક મળી તો એ `વેરની વસૂલાત' હું જરૂર કરીશ.) 

કાળખંડ નં 2 પાર્ટ 2

જિંદગીના બીજા કાળખંડનો પહેલો ભાગ મારી જિંદગીનો સુવર્ણ કાળ સાબિત થયો તો બીજો ભાગ પ્લેટિનમ કાળ. ઈ ટીવીએ મારી મુલાકાત મારા અંદરના વ્યક્તિ સાથે કરાવી તો વીટીવીએ એ વ્યક્તિને મઠાર્યો અને ઘડ્યો. ખરી વિચારશક્તિ ખીલવી વીટીવીએ. સારા નરસાનું ભાન ઈ ટીવીએ કરાવ્યું તો સારાને નરસા કેવી રીતે કરવા અને નરસાને સારા કેવી રીતે કરવા તેનું જ્ઞાન હું પામ્યો વીટીવીમાં. ઈ ટીવીમાં હું ટાઈપિંગ શીખ્યો તો વીટીવીમાં લખતા. ઈ ટીવીએ સમાચારોની પૂર્વ ભૂમિકા બાંધી આપી તો વીટીવીએ સમાચારોની મધ્યભૂમિકા સુધી મને પહોંચાડ્યો. આજે પણ જ્યારે એકલો હોઉં છું ત્યારે થાય છે કે જે `છૂટ' મને વીટીવીમાં મળી તે ન મળી હોત તો હું માત્ર નોકરી કરવાના ઈરાદે `8 કલાકની શિફ્ટ પૂરી કરવા' ઓફિસે જતો બંદો બનીને રહી ગયો હોત. ભલે અનાયાસે વીટીવીએ મને એ `ન આપવા જેવી' છૂટ આપી દીધી, પરંતુ એ છૂટનો મનભરીને,મનફાવે તેમ ઉપયોગ મેં કર્યો. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એ ન્યાયે વીટીવીમાં હું `એરંડો' પૂરવાર થવા મથ્યો.લખાણના ઘણા ગેરલાભનો વિકૃત કહી શકાય તેવો `સાહિત્યિક આનંદ' પણ મેં લીધો.

સમય વીતતો ગયો.ઘણું સમજાતું ગયું,ઘણું સમજી લીધું,ઘણું સમજી રહ્યો છું,આશા છે કે અંતે જ્યારે હિસાબ કિતાબ કરીશ ત્યારે સમજાવા પૂરતું સમજાઈ ગયું હશે. જો નહિ સમજાય તો મારા નસીબ. સામાન્ય રીતે સ્વતંત્ર લખાણ લખતી વખતે મેં અત્યાર સુધી કોઈ સંસ્થા કે વ્યક્તિનો સીધો ઉલ્લેખ ટાળ્યો છે. પરંતુ આજે ઈ ટીવી અને વી ટીવી એવો નામજોગ ઉલ્લેખ કરવાનું મેં અગાઉથી નક્કી કરી લીધું હતું. અરે,જેના થકી તમે હોવ એનું નામ ન લઈ શકો તો ઘૂળ પડી તમારા જીવતરમાં. શારીરિક વિકાસ એ આંખોથી જોઈ શકાય તેવો વિકાસ છે.પણ માનસિક વિકાસ તો માત્ર અનુભવી શકાય. એ આટલા વર્ષોની તપસ્યા બાદ હું અનુભવી શકું છું.એ વૈચારિક સ્થિતિમાં પહોંચી જવું કે જ્યાં તમામ પ્રશ્નો તમને `લઘુ' લાગવા લાગે,તમામ સમસ્યાનો ઉકેલ જાણે હાથવેંતમાં હોય તેવો ભાસ થવા લાગે,જાણે બધુ પામી ગયા હોઈએ એવી ભ્રાંતિ થવા લાગે.આ તમામ મનોસ્થિતિને હું ફિલ કરી શકું છું અત્યારે. થોડું વધુ પડતું તમને લાગશે પરંતુ હા, હું આજે એવું અનુભવી શકું છું. નિખાલસપણે ન કહેવાની વાત કોઈને કહી શકું છું,ખોટી વાત કોઈને ગળે ઉતારી શકું છું.બૌદ્ધિક હોવાનો ડોળ કરી શકું છું.દંભી હોવા છતા,લોભ હોવા છતા,ક્રોધ અપરંપાર હોવા છતા,મોહ છૂટકો ન હોવા છતા,`ઘણા'ની,`ઘણી'ની ઈર્ષા થતી હોવા છતા સ્થિતિપ્રજ્ઞ હોવાનો દેખાડો હું કરી શકું છું.

ક્યારેક તો એવું પણ લાગે છે કે હું 28 વર્ષનો છું કે 58નો. આટલું સમજણું થઈ જવું પણ સારું નથી. ક્યારેક અણસમજું હોવામાં જ લાભ છે. પણ એવા ધંધામાં છું કે જેમાં અણસમજુ રહી શકાતું નથી. સમજું બનવું આસાન નથી. અને ન સમજાયું હોવા છતા સમજાઈ ગયાનો ડોળ કરવું છૂટતું નથી. બૌદ્ધિકોનું કહેવું છે કે વાંચવાથી પરિપકવતા આવે. પણ મને અનુભવે સમજાયું છે કે લખવાથી પણ પરિપકવતા આવે. વી ટીવીની છેલ્લા પોણા ચાર વર્ષની નોકરીમાં લખી લખીને હું પાકટ થયો. જ્યારે પાછળ વળીને જોઉં છું કે આ સાત વર્ષમાં અંગત રીતે મેં શું મેળવ્યું.. તો યાદી ઘણી લાંબી થાય છે..અને જો શું ગુમાવ્યું તેની યાદી બનાવું તો પણ યાદી ઘણી લાંબી થાય છે. જો કે, મારે મન આ સાત વર્ષમાં મેં અંગત રીતે કોઈને ગુમાવ્યો હોય તો તે છે એક પુત્ર હોવાની ફરજ મેં ગુમાવી.હું 7 હજારમાંથી 30 હજાર કમાતો થયો, પણ ત્રણ રૂપિયાનુંય સુખ માતાપિતાને ન આપી શક્યો. દંભી બૌદ્ધિક બન્યો તો ઘરે મૂક બની ગયો.જાણે ઘરના લોકો મને તુચ્છ લાગવા માંડ્યા. હા, હું એ સ્તરે નથી પહોંચ્યો કે જ્યાં મારે આવું કરવું જોઈએ, પણ આવું અનાયાસે થતું ગયું.ન બોલવામાં નવ ગુણની યુક્તિ અપનાવી બુદ્ધિશાળી હોવાનો ડોળ કરતા કરતા ક્યારે ખરેખર મેં પારિવારિક વાચા ગુમાવી તેનું ભાન મને ન રહ્યું. હા, હજુ મોડું નથી થયું પણ ઘણું છૂટી જરૂર ગયું છે. પ્રયાસ છે એ સ્થિતિને સુધારવાનો. અને છેલ્લે જો વાત સાત વર્ષમાં કંઈક મેળવવાની કરું તો આ સાત વર્ષમાં મેં મેળવ્યું `સાત ભવનું ભાથું' બંધાય એવા અનુભવો,એવી પાકટતા,એવી બૌદ્ધિક ક્ષમતા, એવા મિત્રો,એવા સહકર્મીઓ,એવા સીનિયર,એવા જૂનિયર અને......ચલો છોડો,એ વાત પછી ક્યારેક.

(થોડી ઘણી ભાષાકીય ભૂલ માટે હે જાણકાર મિત્રો,ક્ષમા પ્રાર્થુ છું)

Friday, 10 April 2015

રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ બાય બાય

રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ....આ શબ્દ સાંભળતા જ ન જાણે કેટલાય લોકોના ચહેરા પર હળવું સ્મિત આવી જશે....આમ તો રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ એ એક ટ્રેનનું જ નામ છે પરંતુ આ નામ અને આ ટ્રેન સાથે જોડાયેલી છે અનેક વ્યક્તિઓની યાદો...સારી યાદો..કડવી યાદો...ખાટી મીઠી યાદો..રાજકોટથી વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નીકળતી અને અમદાવાદ સવારે 10 વાગ્યે પહોંચી મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગમાંથી થઈ આંધ્રપ્રદેશના સિંકદરાબાદમાં બીજા દિવસે સવારે સાડા દસથી અગિયાર વાગ્યે પહોંચતી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસે અઢળક લોકોની કારકિર્દી શરૂ કરી...આ ટ્રેને જિંદગીની પહેલી નોકરી કરતા ઘણા લોકોને ગુજરાતથી આંધ્ર પહોંચાડ્યા છે તો ઘણા લોકોની હૈદરાબાદના છેલ્લા દિવસની અંતિમ ક્ષણોની સાથી બનવાનું સૌભાગ્ય પણ આ ટ્રેનને મળ્યું ..રાજકોટથી સિકંદરાબાદ જતી વખતે લોકોની આશા અને અરમાનોને પણ આ ટ્રેને જોયા છે તો છ-આઠ મહિને મળતી 10થી 15 દિવસની રજાઓમાં ઘરના લોકોને મળવા અધીરા બનેલા ગિરમિટીયાઓની આઁખોમાં જોવા મળતો ઉત્સાહ પણ આ ટ્રેન હજી ભૂલી નહિ હોય...
આ જ ટ્રેને રજાઓ પૂર્ણ થયા બાદ ફરીથી એ લાગણીવિહીન બિલ્ડિંગો અને સસ્તા ભાડાના ફ્લેટમાં રંધાતી કાચી પાકી રોટલીઓ ખાવાના ડરથી પરત ફરતા છૂટક મજૂરોની વેદનાને અનુભવી હશે... સ્લીપર કોચની ટિકિટ લઈને મિત્રો સાથે ઘરે જતા કે સિકંદરાબાદ પાછા ફરતા મધ્યમવર્ગીય પરિવારના વહાલસોયા લાડકાઓની બાદશાહી પણ આ ટ્રેને માણી હશે....સસ્તુ ભાડું અને સિદ્ધપુરની જાત્રા જેવી રાજકોટ-સિકંદરાબાદની એ યાત્રા ખરા અર્થમાં કહીયે તો એ ગિરમિટીયાઓ માટે ચાર ધામ કે હજની યાત્રાથી જરા પણ કમ ન હતી...વર્ષો સુધી આ નિર્જીવ પણ ઘણું જોઈ ચુકેલી ટ્રેને અનેકને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા હશે પરંતુ હવે આ ટ્રેનને નહિ જોવા મળે એ ગિરમિટીયા...ટ્રેન તો હજુ પણ 1200થી 1500 લોકોને સિકંદરાબાદથી રાજકોટ સુધી લઈ આવશે અને આટલા જ લોકોને લઈ જશે..પરંતુ હવે એ ગિરમિટિયાઓનો પ્રેમ આ ટ્રેનને નહિ મળે....ખાખરા,થેપલા,અથાણા,પુરી,ચેવડો કે સુકીભાજીની મહેંક તો આજે પણ આ ટ્રેનના નાક સુધી પહોંચે છે અને ભવિષ્યમાં પહોંચતી રહેશે..પરંતુ એ મીડિયા મજૂરોના થેલામાંથી આવતી સોડમ હવે ક્યારેય ટ્રેન નહિ સુંઘી શકે...

હજુ પણ એ મજૂરી સ્થાનની વેબસાઈટોમાં રેલવેની વેબસાઈટ તો ખૂલશે પરંતુ એ વેબસાઈટમાં સિકંદરાબાદ-રાજકોટ સર્ચ કરનારા નહિ મળે...1200થી 1300 કિલોમીટરનું એ અંતર અને 24 કલાકની એ મુસાફરી કોઈ વિમાન મુસાફરીથી જરા પણ ઉતરતી કક્ષાની ન હતી તે વાત આજે સૌ છૂટક મજૂરો માની ચુક્યા છે...પણ કમનસીબે એ યાત્રા હવે જાણે એક યુગના અધ્યાયનો અંત બની ગઈ છે...માણસની એક ફિતરત છે કે માનવીને પાસે હોય તે વ્યક્તિ કે વસ્તુંની કદર નથી હોતી પરંતુ તેનાથી અલગ થયા બાદ તેનું મહત્વ માનવીને સમજાય છે..રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસને લઈને પણ કેટલાક દાળભાતીયાઓ આવું જ માનતા હતા.તત્કાલિન સમયે તેમના માટે આ ટ્રેન એક ટ્રેનથી વિશેષ ન હતી પરંતુ હવે એ દિવસો ઈતિહાસ બની ગયા તો એ ટ્રેન પણ સુખદ સ્વપ્નની માફક દિમાગમાં લાઈટ કરવા લાગી..


આજે પણ ઘણાને રાજકોટ-સિકંદરાબાદ ટ્રેન સ્વપ્નમાં આવે છે..આજે પણ એવું મહેસૂસ થાય છે કે કાલે સવારે આ ટ્રેનમાં બેસી સિકંદરાબાદ જવાનું છે..આજે પણ એની ચિંતા થાય છે કે રાજકોટ-સિકંદરાબાદમાં લીધેલી વેઈટિંગ લિસ્ટવાળી ટિકિટ કન્ફર્મ થાય તો સારુ...પણ કમબખ્ત આ દિલને કોણ સમજાવે કે લાઈફને કન્ફર્મ કરવાના ચક્કરમાં રાજકોટ-સિકંદરાબાદની ટિકિટ લેવાનું જ ભૂલાઈ ગયું છે..આજે પણ ઘણી વખત મન થાય છે કે એ કાલુપુર સ્ટેશને સવારે સાડા નવ વાગ્યે પહોંચી જાઉં અને એસ-4 કે એસ 6 કે અન્ય કોઈ ડબ્બામાં બેસી જાઉં..થોડીવાર પછી પાવો વાગશે..છોડવા આવેલા બાય કહેશે અને પાછળ છૂટી જશે આખી દુનિયા..પણ ઉંઘ ઉડી જાય છે અને સામે દેખાય છે માત્ર ધુમ્મસ..ધ્યાનથી એ ધુમ્મસ તરફ નજર કરી તો દેખાયું કે એ ગઈ આપણી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ...ગુડબાય રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ...જિંદા રહે તો ફિર મિલેંગે...

Wednesday, 1 April 2015

તોરા ગોરા અંગ દઈ દે...ગોરી ચામડીનો મોહ રાખવો તેમાં ખોટું શું ?



શું ખરેખર ભારતીયો ગોરી ચામડી પાછળ ઘેલા છે ?.ભાજપના નેતા ગિરિરાજ સિંહે એક વિવાદીત નિવેદન કરીને આ ચર્ચાને ફરી જન્મ આપ્યો છે.ગિરિરાજ સિંહે કહ્યું કે જો રાજીવ ગાંધીએ કોઈ નાઈજીરિયન મહિલા સાથે લગ્ન કર્યા હોત અને તેમની વાઈફ (સોનિયા ગાંધી)નો વર્ણ ગોરો ન હોત તો શું કૉંગ્રેસના નેતાઓ એ વાઈફના નેતૃત્વમાં કામ કરવા તૈયાર થાત.વાત વિચારવા જેવી ખરી.ગિરિરાજ સિંહે ભલે વિવાદ વધ્યા બાદ પોતાના નિવેદન પર માફી માગી લીધી હોય પરંતુ તેમની વાતમાં તથ્ય તો રહેલું છે જ.આપણે સોનિયા ગાંધીની વાત જવા દઈએ અને ભારતીય માનસિકતાના મુદ્દા પર આવીયે તો બેશકપણે આપણે સૌએ સ્વીકારવું પડશે કે હા,અમને ગોરી ચામડી વધુ ગમે છે.દરેક પુરુષ એવું ઈચ્છે છે કે તેની પત્ની ગોરી હોવી જોઈએ અને દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેનો ભરથાર ગોરો એટલે કે હેન્ડસમ હોવો જોઈએ.( મળે ન મળે એ નસીબની વાત) જો કે, પોતાના જીવનસાથીની પસંદગી માટે ગોરી ચામડીની પ્રાયોરિટી રાખવી એ કોઈ ગુનો નથી.

જ્યારથી ભારતમાં સમાજ જીવનની શરૂઆત થઈ છે ત્યારથી ગૌર વર્ણ પ્રત્યે આસક્તિ જોવા મળી છે.તમે રામાયણ લઈ લો કે મહાભારત લઈ લો.મહાકવિ કાલિદાસનું કોઈ પણ સાહિત્ય લઈ લો.દરેકમાં જ્યારે જ્યારે પણ સ્ત્રીની સુંદરતાના વર્ણનની વાત આવી છે ત્યારે ત્યારે કવિઓ કહી ગયા છે કે દ્રોપદી,સીતા કે પાર્વતી અતિ સુંદર હતી.અને અતિ સુંદર એટલે ગોરી.માથાથી પગના નખ સુધી ગોરી.જરા દિલ મજબૂત કરીને વિચારો કે જો સીતા ગોરા ન હોત તો રામને ગમ્યા હોત ખરા ? પાર્વતી ગોરા ન હોત તો શિવજીએ તેમને ભાવ પણ આપ્યો ન હોત કે દ્રૌપદી ગોરા ન હોત તો પાંચ પાંડવોએ તો શું,ભીમ જેવા કદ્દાવર પુરુષે પણ દ્રૌપદીને વરમાળા પહેરાવી ન હોત.રૂપાળા રંગ પ્રત્યેની આવી ગાંડી ઘેલછા સમયાંતરે વધુ પ્રબળ બની.

ઘણા એવું કહેશે કે હવે આવું નથી રહ્યું.હવે તો શ્યામ વર્ણની સ્ત્રીઓ સાથે પણ લોકો પ્રેમ કરે છે અને લગ્ન પણ કરે છે.આવા લોકોની વાત સાચી છે પરંતુ આવા દાખલા કેટલા ?..માત્ર આંગળીના વેઢે ગણાય એટલા.શ્વેત વર્ણ પ્રત્યેનો પ્રેમ અને શ્યામ વર્ણ પ્રત્યેની સૂગ હોવા પાછળ પણ આપણો સમાજ જ જવાબદાર છે.કેમ કે આપણે ત્યા કાળા રંગને અશુભ માનવામાં આવે છે.કાળા કલરના કપડા લેતી વખતે પણ લોકો સો વખત વિચાર કરે છે.લગ્ન પ્રસંગોએ તો લોકો કાળા કલરના કપડા પહેરતા જ નથી.બની શકે કે કાળા વર્ણને લઈ વ્યાપ્ત સૂગ પાછળ આ કારણ પણ જવાબદાર હોય.મૂળ મુદ્દા પર પાછા ફરીયે તો મુખ્ય સવાલ એ છે કે વ્હાઈટ ચામડી પ્રત્યે મોહ હોવામાં ખોટું શું છે.ખુદ કૃષ્ણ ભગવાનને પણ એ વાત ગમતી ન હતી કે રાધા ક્યૂં ગોરી મેં ક્યૂં કાલા.દરેકને ખબર છે જ કે ગોરા રંગ પર ગુમાન કરવા જેવું નથી કેમ કે ગોરો રંગ બે દિવસમાં ઢળી જ જવાનો છે.છતા ગોરા રંગ પ્રત્યેની આશિકી આ દુનિયા રહેશે ત્યા સુધી યથાવત રહેશે.ગોરી ચામડી પ્રત્યે ભારતીયોના ગાંડપણનું વર્ણન હાલમાં જ આવેલી ફિલ્મ દમ લગા કે હૈસાના એક ગીતમાં સુંદર રીતે કરવામાં આવ્યું.

સુંદર સુશીલ થોડી સ્પેશિયલ ઢૂંઢેંગે..નોટ ટેમ્પરરી,પરમેનેન્ટ ઢૂંઢેંગે....
તા ના ના ના ના ના ના ના......................................

Tuesday, 24 February 2015

તુમકો હમારી ઉંમર લગ જાયે

                  શું દરેક વખતે ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન એવું હોય?શું દરેક વખતે આંખો જે જોવે તે સાચું જ હોય? જી નહિ...આવું ન પણ હોય...જો આવું જ હોત તો મારા જીવનમાં એક વ્યક્તિનું મહત્વ આજે જેટલું છે એટલું ન હોત..આ એવી વ્યક્તિ છે જેને પહેલી નજરે જોઈ ત્યારે એવું કયારેય લાગ્યું ન હતું  કે આ વ્યક્તિ આગળ જતા મારા સુખદુખનો સાથી બનશે..મારી સમસ્યાઓનો ઉકલ બનશે..મારી મનોવ્યથાને સાંભળનારા કાન બનશે અને મારી આર્થિક તકલીફો દૂર કરનારી `વર્લ્ડબેંક' બનશે.. 

આપણા મોબાઈલમાં 100થી લઈ 500 વ્યક્તિઓના નંબર સેવ કરેલા હોય છે પરંતુ જ્યારે આપણું મન વ્યગ્ર હોય..થોડી ચિંતા હોય..આગળ જવાનો રસ્તો સૂઝતો ન હોય..કોઈ નિર્ણય સુધી મગજ પહોંચતું ન હોય..હ્રદયે `સૉરી' બોલીને સમસ્યાનો ઉકલ આપવાની ના પાડી દીધી હોય..મારુ માનવું છે કે આવા સમયે મોબાઈલમાં સેવ કરેલા 100થી 500 નંબરોમાંથી જે નંબર ડાયલ કરી તે નંબરના કર્તા હર્તા સમાહર્તા સાથે બે ઘડી દિલની વાત કહેવાનું મન થાય તે આપણો ખરો સ્વજન. 

મારી સદનસીબી છે કે વિકટ સમયે કોનો નંબર ડાયલ કરવો તેની મથામણ મારે નથી રહેતી..કેમ કે આવા એક નહિ પરંતુ અનેક નંબર છે જે નંબર હું કશું પણ વિચાર્યા વિના ડાયલ કરી શકું છું.મતલબ મારે સ્વજનોની કમી નથી..પરંતુ આજે જેની વાત મારે કરવાની કરવાની છે અને જેનું નામ લખ્યા પહેલા જેના માટે મે આટલી લાંબી લચક પ્રસ્તાવના બાંધી છે તેનું સ્થાન મારા દિલમાં અનોખું છે.ભદ્રંભદ્ર ગુજરાતી લખી રહ્યો છું, પરંતુ આ વ્યક્તિ માટે કોઈ પણ ભાષામાં લખત તો કદાચ શબ્દો અલગ હોત પરંતુ મારા કહેવાનો,મારા લખવાનો ભાવાર્થ કંઈક આવો જ હોત... 

આ વ્યક્તિ કોઈ મહામાનવ નથી..ના તો સદગુણોનો ભંડાર છે..તે એક સામાન્ય માનવી છે,મારા તમારા જેવો જ આમ આદમી...તેનામાં પણ માનવીય દુર્ગુણો છે.પણ છતા તે મારો ખરો સ્વજન છે..મહત્વની વાત એ છે કે પહેલાથી આ જન એટલે કે માણસ મને સ્વજન નહોતો લાગ્યો...આ વાત છે આજથી સાડા છ વર્ષ પહેલાની...મહિનો હતો જૂન અને હું ન ભૂલતો હોવું તો તારીખ હતી 1લી .સ્થળ હતું મારા દિલની સૌથી નજીક જેનું સ્થાન છે તેવું હૈદરાબાદ.. 

લાઈફની પહેલી ઓફિશિયલ જોબનો પહેલો ઓફિશિયલ દિવસ હતો..આંખોમાં અનારાધાર વરસતા સ્વપ્નો હતા અને દિમાગમાં કંઈક કરી દેખાડવાની તત્પરતા..સાથે જોબ શરૂ કરનારા દોસ્તો ખરા અર્થમાં દોસ્તો ન હતા પરંતુ ભવિષ્યમાં બનનારા હરિફો હતા..કોનો વિશ્વાસ કરવો અને કોની સાથે દોસ્તી કરવી તેની મથામણ હતી...ગુજરાતી માધ્યમમાં ભણેલા નિમ્ન મધ્યમવર્ગના મારા જેવા દિશાવિહિન યુવાન માટે એ દિવસ પણ ખરો ગજબનો હતો.ભવિષ્યમાં જેમની સાથે સંબંધો સુમેળભર્યા બનવાના હતા તે તમામ લોકો એ જ દિવસે મળ્યા..તેમાંનો એક એટલે મારો ભાઈબંધ..મારો સખો..મારો દોસ્ત..મારો મિત્ર..મારો ફ્રેન્ડ..અને મારો ગાઈડ.. 

લોકોને પહેલી દ્રષ્ટિનો પહેલો પ્રેમ થઈ જાય તેવી ફીલિંગ તો મારી ન હતી ઉલટાનું તેને પહેલી વખત જોયા બાદ મારા સર્કલમાં તેની મજાક ઉડાડવાનો ચાન્સ મે છોડ્યો ન હતો.લાંબા અને ઢંગધડા વિનાના વાળ,અસ્તવ્યસ્ત કપડા,વર્તનમાં પાકટતાનો અભાવ અને વાણીમાં ઉત્તર ગુજરાતી ટચ..સમય આગળ વધતો ગયો..અજાણ્યા જાણીતા બનતા ગયા..જાણીતા બનેલા દોસ્ત થઈ ગયા..અને દોસ્ત બની ગયેલા જિગરી બની ગયા..પરંતુ એ વ્યક્તિ વિશે મારા મનમાં પહેલી વખત મળ્યાની છાપ ન ભૂસાઈ.. 

ત્રણ વર્ષના એ `શ્રમિક કાર્ય' દરમિયાન ઘણી વખત મળ્યા.શિફ્ટ પર શિફ્ટ કામ કર્યુ..ક્રિકેટ મેચ પર ચિઠ્ઠીઓ ઉડાવી...ચાની ચુસકીઓ લીધી...છોકરીઓ પર સાથે મળી કોમેન્ટ કરી અને ફેન્ટસી માણી...પણ ત્યારે કયારેય એવું ન લાગ્યું કે આ વ્યક્તિ મારી જિંદગીનો એક મહત્વનો ભાગ બનશે..કદાચ હૈદરાબાદ શહેરના નસીબમાં ન હતું મારી અને તેની દોસ્તીનો લહાવો માણવાનું..અમારી દોસ્તીને નાના ખાબોચિયામાંથી મહાસાગર બનતા જોવાનું સૌભાગ્ય લખ્યું હતું ગાંધીના ગુજરાતમાં આવેલી સાબરમતીના કિનારે વસેલા અમદાવાદ શહેરના... 

હૈદરાબાદ છોડી અમદાવાદ આવવાનું થયું..ઘણું છૂટી ગયું..ઘણું છોડીને આવ્યો..નવું શહેર હતું...નવી શરૂઆત હતી..થોડી તકલીફો પડી..થોડી નિરાશા સાંપડી..ખબર નહિ કેમ પરંતુ મને આજે પણ એવું લાગે છે કે અમારા કાચા સંબંધોને પાક્કા બાંધકામ જેવા મજબૂત બનાવવા માટે કદાચ તે જ સમયગાળા દરમિયાન ઈશ્વરે એ વ્યક્તિની મનોવ્યથા પણ કંઈ મારા જેવી જ કરી..અને આમ પણ કહેવાય કહેવાય છે ને કે કોણ તમારી સાથે છે અને કોણ તમારી સામે છે તેની ખરી ખબર સંકટ સમયે જ થાય છે....મારી અને તેની સાથે છે એવું જ થયું..બન્ને સમદુખિયા ભેગા થયા..દુખ હળવું થવા લાગ્યું..અને દિલ, દોસ્તીની શરૂઆતના સુવર્ણકાળથી ભરાવા લાગ્યું...વિચારો મળતા ગયા..દિલ જોડાતા ગયા..શબ્દોનો મેળ પડતો ગયો...ખબર પણ ન પડી કે કયારે તે વ્યક્તિ મારો હમદર્દ બની ગયો.. 

એક તરફ હતો હું...આખા ગામને સલાહો,સૂચનો કરનારો,ફિલોસોફીના લેકચરો આપનારો,સાચા ખોટાનો ભેદ પારખવાનો દાવો કરનારો, અહંનો પર્યાય બનનારો અને `હું કાંઈક છું, એવી કલ્પનાઓમાં રાચનારો `હું' ..અને બીજી તરફ હતો પોતાની મસ્તીમાં જીવનારો...મારી સામે પોતાની જિંદગીની કિતાબ ખુલ્લી મુકી દેનારો...ગંભીરતાનું નામોનિશાન નહિ રાખનારો તે એટલે કે મારો જિગરી...અમે મળ્યા..ખૂબ વાતો કરી..સાથે ખૂબ ફર્યા..સાથે જમ્યા..ચાય પે ચર્ચાઓ કરી...ક્રિકેટની વાતોના વડા કર્યા...ભવિષ્યની રૂપરેખાઓ ઘડી...અન્યોની ટીકા અને અન્યો પર કટાક્ષ કર્યા...સિસ્ટમને વખોડી...છોકરીઓને વખાણી...આવું ઘણું કર્યુ...અને આગળ પણ કરતા રહીશું.. 

મને દેવા માટે તેની પાસે બધું જ હતું..આર્થિક મદદ તો તેણે એટલી કરી કરી કે આજે સગો ભાઈ ન કરે...માનસિક મદદ માટે તો તે હમેંશા તૈયાર જ હોય છે...મને દેવા માટે તેની પાસે બધુ જ હતું..પરંતુ તેને દેવા માટે મારી પાસે?  ન તો પહેલા મેં તેને કંઈ આપ્યું હતું ન ભવિષ્યમાં આપી શકવાની સમર્થતા મારામાં છે...કદાચ આપી શકું તેવી સ્થિતિમાં આવી પણ જઉં..પરંતુ તેના જેટલી મદદ તો મને લાગતું નથી કે હું કરી શકીશ...વર્ષો પહેલા મહાન ગીતકાર હસરત જયપુરીએ એક ફિલ્મ માટે જે શબ્દો લખ્યા હતા તે શબ્દો થકી હું થોડો પ્રયાસ જરૂર કરી શકું તેના પ્રત્યેની મારી લાગણીઓને રજૂ કરવાનો... 

તુમ્હે ઔર કયાં દૂં મે દિલ કે સિવાં 
તુમકો હમારી ઉંમર લગ જાય.... 

આટલું લખ્યા છતા તેના નામનો આછો પાતળો ઉલ્લેખ પણ મેં કયાંય કર્યો નથી..અરે, તેનું નામ લખવાની જરૂર પણ નથી..કેમ કે આટલું વાંચ્યા પછી મારી અને  તેની દોસ્તી વિશે જાણનારા લોકોને ખબર જ પડી ગઈ હશે કે મેં જેનું નામ લખ્યા વિના આટલી `મેરેથોન કથા' કરી છે છતા કહ્યા વિના નથી રહી શકતો કે તે વ્યક્તિ એટલે જનક...હું નહિ કહું છતા તું લાંબી આવરદા ભોગવવાનો જ છે છતા કહી દઉં કે તુમ કો હમારી ઉંમર લગ જાયે 


અરે હા, એક  વાત લખવાનું તો ભૂલી જ ગયો.જો અમે બન્ને બાળપણમાં  મળ્યા હોત તો ચોક્કસપણે લંગોટિયા યાર કહેવાત..મને આખી જિંદગી આ વાતનો અફસોસ રહેશે 

વેરી હેપ્પી બર્થ ડે..