Wednesday, 19 March 2014

અસ્તિત્વની લડાઈ

આ વખતની લોકસભા ચૂંટણી ઘણા બધા રાજકીય પક્ષો અને ઘણી રાજકીય પાર્ટી માટે તો અતિમહત્ત્વની છે જ.પરંતુ એક સંસ્થા એવી છે જેના માટે 2014ની લોકસભા ચૂંટણી અસ્તિત્વની લડાઈ છે.એ છે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ..કેમ કે આ ચૂંટણી નક્કી કરશે RSSનું ભવિષ્ય..આગામી લોકસભા ચૂંટણી કદાચ નરેન્દ્ર મોદી હારી પણ જાય છતા ગુજરાતની રાજનીતિમાંથી તેમને કોઈ દૂર નહિ કરી શકે..પરંતુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું અસ્તિત્વ જરૂર જોખમાશે.રામ મંદિર આંદોલન બાદ જે સંઘની લોકપ્રિયતા સર્વોચ્ચ કક્ષાએ હતી તે સંઘને વાજપેયી યુગમાં ભારે સંઘર્ષ કરવો પડયો હતો.વાજપેયી ખુલ્લી રીતે સંઘની કોઈ વાત માનતા ન હતા.એટલું જ નહિ વાજપેયી તો સંઘના વરિષ્ઠ કાર્યકર એવા સુદર્શનજીની પણ ઉપેક્ષા કરતા હતા. પરંતુ 2004ની લોકસભામાં NDAની હાર, વાજપેયીનું પથારીવશ થવું,પ્રમોદ મહાજનનું આકસ્મિક મૃત્યુ થવું અને અડવાણી જેવા નેતા દ્વારા મોહંમદ અલી જિણાના વખાણ થવા..આ બધી ઘટનાઓ
ના કારણે રાષ્ટ્રીય સ્વયં સેવકને વધુ એક તક મળી પોતાની શાખ બચાવવાની. અને આ તકને સંઘે ખૂબ જ ચતુરાઈથી ઝડપી પણ લીધી..સંઘ ભલે પોતાને સાંસ્કૃત્તિક સંગઠન માનતું હોય..પરંતુ વાસ્તવિકતા તો એ છે કે સંઘ અંદરખાને પોતાને રાજકીય શક્તિ તરીકે પ્રસ્થાપિત કરવા ઈચ્છતું હતું અને ઈચ્છી રહ્યું છે.2009માં કે એસ સુદર્શનને RSSના સરસંઘચાલક પદેથી હટાવી મોહન ભાગવતને સંઘના પ્રમુખ બનાવ્યા ત્યારથી સંઘની ફરી એક વખત પોતાના મૂળ મુકામે પહોંચવાની યાત્રાનો આરંભ થયો.પ્રમુખપદે આવતાની સાથે જ મોહન ભાગવતે આયોજનબદ્ધ રીતે ભાજપનું નિયંત્રણ પોતાના હાથોમાં લેવાનું શરૂ કર્યુ.પહેલા તો સંઘે 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ સંઘના પાક્કા કાર્યકર નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવી દીધા.અને પછી સુરેશ જોશી એટલે કે ભૈયાજી તેમજ સુરેશ સોનીને ભાજપમાં સામેલ કરી પોતાના મૂળિયા મજબૂત કર્યા..આ બન્ને પોતાના બોદ્ધિક કાર્યો માટે,ઉત્તમોત્તમ આયોજન માટે અને રણનીતિકાર તરીકે જાણીતા છે..પછી સંઘે કામ કર્યુ દિલ્હીની ત્રિપુટી એવી અડવાણી,સુષમા સ્વરાજ તેમજ મુરલી મનોહર જોશીને સાઈડલાઈન કરવાનું..રાજનાથસિંસહને ભાજપના અધ્યક્ષ બનાવી સંઘે દિલ્હીના અન્ય એક નેતા એવા અરુણ જેટલીને પણ હાંસિયામાં ધકેલી દીધા.અને અંતે સંઘે પોતાનો હુકમનો એક્કો એવા નરેન્દ્ર  મોદીને ઉતાર્યા મેદાનમાં.સંઘને લાગે છે કે,હિંદુ રાષ્ટ્રવાદના કટ્ટર સમર્થક એવા નરેદ્ર મોદી જ એક માત્ર એવા નેતા છે જે સંઘની ડૂબતી નૌકા પાર લગાવી શકે છે..એટલે જ સંઘે આ વખતની ચૂંટણીમાં રામ મંદિર, હિંદુત્વ અને કાશ્મીર જેવા મુદ્દાઓને છંછેડવાની હિંમત કરી નથી.પરંતુ મોદીથી સંઘને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે..કેમ કે હાલ ભલે મોદી, સંઘના દરેક હુકમ પાળે.પરંતુ તેમની પોતાની ઘણી બધી ઈચ્છાઓ છે અને બધી ઈચ્છાઓ નિરંકુશ છે.જે સંઘને ઘણી વખત પસંદ નથી આવી.મોદી પહેલા પણ સંઘને ન માનવાની હિંમત કરી ચુક્યા છે..2002ના ગુજરાત રમખાણો બાદ પોતાની છબી વિકાસપુરુષ તરીકે પ્રસ્થાપિત કરવા માટે મોદીએ સંઘ તેમજ વિશ્વ હિંદુ પરિષદની અવગણના કરી હતી.તેને ન તો સંઘ કે ન તો વિશ્વ હિંદુ પરિષદ ભૂલી શકે તેમ છે.એટલે કદાચ મોદી સંઘની મદદથી વડા પ્રધાન બની પણ જાય તો તેઓ સંઘના ઈશારે કામ કરશે તે માની લેવું ભૂલ ભરેલું છે..એટલે સંઘને અંદરખાને એ ડર પણ સતાવી રહ્યો હશે કે જેવી રીતે વાજપેયીએ સત્તા મળતા જ સંઘની આજ્ઞા માનવાનો ઈનકાર કરી દીધો હતો તેવું જ ક્યાંક મોદી પણ ન કરે.

Wednesday, 5 March 2014

ONCE UPON A TIME IN 1977



આઝાદી બાદ અત્યાર સુધીની એક માત્ર રોમાંચક ચૂંટણી હતી 1977ની.અને એમાં શંકાને કોઈ સ્થાન પણ નથી.કેમ કે એક બાજુ જ્યારે ભારતનો ચહેરો બની ગયેલા ઈન્દિરા ગાંધી હોય અને સામે મોરારજી દેસાઈ જેવા પીઢ નેતાની આગેવાનીમાં અન્ય પાર્ટીઓ હોય પછી તો કહેવાનું જ શું હોય.પરંતુ એ ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે.2014ની લોકસભા ચૂંટણી માટે કહેવાય છે કે આ ચૂંટણી 1977 ચૂંટણી કરતા પણ વધુ રોમાંચક બનશે.અને આમ પણ બન્ને ચૂંટણીમાં ઘણું સામ્યતા પણ છે.આઝાદી બાદની સૌથી દિલધડક, સૌથી રોમાંચક, સૌથી વિકટ અને સૌથી રસ્સાકસી વાળી લોકસભા ચૂંટણીના ડંકા વાગી ગયા છે.ચૂંટણી પંચે 9 તબક્કામાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે.ચૂંટણીનું બ્યૂગલ વાગતા જ તમામ પાર્ટીઓના રણબંકાઓ પણ રણમેદાનમાં ઉતરવા થનગવા લાગ્યા છે.એવું કહેવાય છે કે આ વખતની લોકસભા ચૂંટણી એ ભારતીય ઈતિહાસની 1977 બાદની સૌથી અનોખી ચૂંટણી સાબિત થશે.હવે સવાલ એ થાય કે રાજકીય પંડિતો 2014ની ચૂંટણીની સરખામણી 1977ની ચૂંટણી સાથે કેમ કરી રહ્યા છે?એવું તે શું નવું હતું 1977ની ચૂંટણીમાં?આમ જોવા જાવ તો આ બન્ને ચૂંટણીઓમાં ઘણી સામ્યતા છે.તે વખતે ઈન્દિરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટીના કારણે દેશમાં ઈન્દિરા સામે આક્રોશ હતો..તો આ વખતે પણ અનેક કૌભાંડો, ભ્રષ્ટાચાર અને મોંઘવારીના કારણે વર્તમાન કેદ્ર સરકાર સામે દેશભરમાં વિરોધનો વંટોળ છે.તે વખતે એક બાજુ હતા ઈન્દિરા ગાંધી.તો સામે હતા દેશના અન્ય તમામ નેતાઓ..જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ જે આંદોલન અસ્તિત્ત્વમાં આવ્યું હતું તેના કારણે નાની મોટી સહિત તમામ પાર્ટીઓએ જનતા પાર્ટી નામનું એક મંચ ઉભું કર્યુ હતું..તો આ વખતે પણ હાલની સ્થિતિ મુજબ એક તરફ કોંગ્રેસ છે.તો બીજી તરફ નરેન્દ્ર મોદીથી લઈ સપા, બસપા અને ડાબેરીઓ સહિત અન્ય તમામ પક્ષો છે.1977ની ચૂંટણી એટલા માટે ખાસ હતી કેમ કે, માત્ર એક ભૂલ કેટલું મોટું નુકસાન કરી શકે છે તેનું તાજુ ઉદાહરણ 1977ની લોકસભા ચૂંટણી જ હતી.આ વાતને સમજવા માટે જો 1971 અને 1977ની ચૂંટણીના પરિણામોની સરખામણી કરીયે તો 1971ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 352 સીટ જીતી કેન્દ્રમાં સરકાર બનાવી હતી.જ્યારે મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં બનેલા નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટને મળી હતી માત્ર 51 સીટ.પરંતુ ખોટી રીતે ચૂંટણી જીતવાના આરોપ અને ત્યારબાદ સત્તા બચાવવા માટે 1975માં લગાવેલી કટોકટી પછી જ્યારે 1977માં લોકસભા ચૂંટણી યોજાઈ તો ઈન્દિરા ગાંધીના સુપડા સાફ થઈ ગયા.જે કોંગ્રેસે 1971માં 352 સીટ જીતી હતી તે જ કોંગ્રેસ 1977માં 189 સીટ પર આવી ગઈ.તો જયપ્રકાશ નારાયણના આશિર્વાદ અને મોરારજી દેસાઈ જેવા પીઢ નેતાની અધ્યક્ષતામાં બનેલી જનતા પાર્ટીએ અપેક્ષા પ્રમાણે જ અધધધ કહી શકાય તેટલી 345 સીટ જીતી ઈન્દિરા ગાંધીને કરારી હાર આપી હતી.માત્ર એટલું જ નહિ તે વખતે તો ખુદ દેશના વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધી પણ પોતાની સીટ બચાવી શક્યા ન હતા.1977ની ચૂંટણી અને 2014ની ચૂંટણીને અલગ પાડતી કોઈ બાબત હોય તો તે છે ઈન્દિરા ગાંધી ખુદ.જી હા, જે ઈન્દિરા ગાંધીને દેશવાસીઓએ રાષ્ટ્રીય નાયક બનાવી દીધા હતા તે જ ઈન્દિરા ગાંધી કટોકટી બાદ ડીકટેટર એટલે કે સરમુખત્યાર તરીકે કુખ્યાત થયા હતા.અને ઈન્દિરાની હારનું સૌથી મોટું કારણ  પણ તેમની આ છબી જ હતી.આ વખતે કોંગ્રેસના કોઈ ચહેરા સામે તો મોટા આરોપો નથી પરંતુ આખી પાર્ટી જ ગુનેગારના કઠેડામાં છે.હા, એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ કે 1977માં કંગ્રેસને હરાવી જે જનતા પાર્ટી સત્તામાં આવી હતી તે શાસનના પાંચ વર્ષ પણ પૂર્ણ કરી શકી ન હતી..અને એ પણ સનાતન સત્ય છે કે આઝાદી બાદ જેટલી પણ સરકારો આવી તેમાંથી કોંગ્રેસને બાદ કરતા એક માત્ર વાજપેયીની અધ્યક્ષતામાં બનેલી NDAની સરકારે જ કાર્યકાળ પૂર્ણ કર્યો હતો..તો આ વખતે શું થશે?1977ની ચૂંટણીનું પુનરાવર્તન થશે? કે પછી કોંગ્રેસ,સત્તા બચાવવામાં સફળ થશે? 

યે યુપી હૈ મેરે યાર



ઉત્તરપ્રદેશ.એક જમાનામાં હિંદુ સંસ્કૃત્તિનું કેદ્ર અને મુસ્લિમ તહેઝીબ માટે જાણીતું ઉત્તર પ્રદેશ આઝાદી બાદ રાજકીય સત્તાપ્રાપ્તિ માટેનો અખાડો બની ગયું છે.જેનું કારણ છે દેશમાં સૌથી વધુ 80 લોકસભા સીટ.ઈતિહાસ સાક્ષી છે કે આઝાદી બાદ દેશના વડા પ્રધાન બનનારા આઠ આઠ નેતાઓ ઉત્તરપ્રદેશનો હાથ પકડીને જ સત્તાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન થયા હતા.અને કદાચ એટલા માટે જ નરેદ્ર મોદી પણ અંદરખાને એવું ઈચ્છે છે કે તેઓ ઉત્તરપ્રદેશથી લોકસભા ચૂંટણી લડે.લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે સૌના મનમાં એ સવાલ પણ સળવળી રહ્યો છે કે મોદી ક્યાંથી લડશે?કોઈ કહે છે ગુજરાતથી લડશે.તો કોઈનું માનવું છે કે ઉત્તરપ્રદેશથી લડશે?પરંતુ જ્યા સુધી મોદીની વાત છે તો મોદીએ તો નક્કી કરી જ લીધું હશે કે તેમને ક્યાંથી લડવાનું છે.અત્યાર સુધીની મોદીની કાર્યશૈલીને ધ્યાનમાં લઈએ તો મોદી, ઉત્તરપ્રદેશ પર પસંદગીનો કળશ ઢોળે તેવી શકયતા વધુ છે.તેનું કારણ છે ઉત્તરપ્રદેશનો ઈતિહાસ.જવાહર લાલ નેહરુ,લાલબહાદુર શાસ્ત્રી ,ઈન્દિરા ગાંધી,ચૌધરી ચરણસિંહ,રાજીવ ગાંધી,વિશ્વનાથ પ્રતાપ સિંહ,ચંદ્રશેખર અને અટલબિહારી વાજપેયી.આ છે દેશના 8 વડા પ્રધાનો..મહત્ત્વની વાત એ છે કે,આ આઠ વડા પ્રધાનનો નાતો કોઈને કોઈ રીતે તો ઉત્તરપ્રદેશ સાથે હતો જ.આમાંથી મોટા ભાગના ઉત્તરપ્રદેશનું ફરજંદ હતા એટલે કે ઉત્તરપ્રદેશમાં જન્મયા હતા.અને બાકીનાની રાજકીય કર્મભૂમિ ઉત્તરપ્રદેશ હતી.અત્યાર સુધી દેશે કુલ 13 વડા પ્રધાન જોયા.મનમોહન સિંહ 13માં વડા પ્રધાન છે.તેમાંથી 8 વડા પ્રધાન ઉત્તરપ્રદેશ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા હોય એટલે સમજી શકાય છે કે ભારતની રાજનીતિમાં ઉત્તરપ્રદેશનું શું મહત્વ હશે.આ જ કારણે ઉત્તરપ્રદેશ મોદીની પહેલી પસંદગી છે.ઉત્તરપ્રદેશથી મોદીને ચૂંટણી લડવા માટે મજબૂર કરનારું અન્ય એક કારણ છે ત્યાની 80 લોકસભા સીટ.ભારતમાં સૌથી વધુ લોકસભા સીટ ધરાવતું રાજ્ય છે ઉત્તરપ્રદેશ..એટલે જ રાજનીતિના પાઠયપુસ્તકની એક જૂની કહેવત છે કે,દિલ્હી માટે સત્તાનો રસ્તો લખનૌ એટલે કે ઉત્તરપ્રદેશ થઈને જાય છે.મોદીની ઈચ્છા પણ લખનૌ થઈ દિલ્હી પહોંચવાની છે.ઉત્તરપ્રદેશથી મોદીના ચૂંટણી લડવાથી તમામ 80 બેઠકો પર અસર થશે.તો હવે સવાલ એ છે કે ગુજરાતનું શું થશે?મતલબ કે મોદી જો ગુજરાતથી ચૂંટણી ન લડે તો તેની નકારાત્મક અસરો ગુજરાતની તમામ 26 સીટ પર થવાનો ભય છે.આવી સ્થિતિમાં મોદી માટે એક જ વિકલ્પ બચ્યો છે, યુપી અને ગુજરાત એમ બન્ને જગ્યાએથી લોકસભા ચૂંટણી લડવી.એક વાસ્તવિકતા એ પણ છે કે જે આઠ વડા પ્રધાનોના ઉત્તરપ્રદેશ કનેક્શનની વાત આપણે કરી તેની સરખામણીએ મોદીને યુપી સાથે સાત પેઢી સુધી કોઈ સંબંધ નથી.કે ન તો યુપીમાં હાલ ભાજપનું પ્રદર્શન સારુ છે.હા, રામ મંદિર આંદોલન વખતે દેશમાં ભાજપને યુપીએ જ સૌથી વધુ આવકારી હતી..પરંતુ તે જમાનો હવે ચાલ્યો ગયો છે..અને ગુઝરા હુઆ જમાના વાપસ લાવવાની જવાબદારી હવે મોદી પર છે.તો શું કરશે મોદી? 

Tuesday, 4 March 2014

યે દિલ તુમ બિન કહી લગતા નહીં














અત્યાર સુધી એવું કહેવાતું હતું કે સફળતા તેને જઈ વરે જે પરેસેવે નહાય..પરંતુ હવે આ કહેવતમાં થોડું પરિવર્તન આવી ગયું છે.આજના દંભી જમાનામાં આ કહેવત કંઈક એવી છે કે, સફળતા તેને જઈ વરે જે સફળ લોકોને વરે..એટલે કે સફળતા તેને જ મળે જે સફળ લોકોની સાથે હાથ મિલાવે.મુકેશ અંબાણીનું પણ કંઈક એવું જ છે.અત્યાર સુધી દેશમાં કોંગ્રેસનો દબદબો હતો તો મુકેશ અંબાણી કોંગ્રેસ સાથે હતા.અને હવે ભાજપની સરકાર બનવાના એંધાણ છે તો મુકેશ અંબાણી ભગવા રંગે રંગાઈ ગયા છે.


દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીએ કોંગ્રેસને સાયોનારા કહી ભાજપને ફ્રેન્ડ્સ રિકવેસ્ટ મોકલી છે.મતલબ કે છેલ્લા 10 વર્ષથી પંજા સાથે હાથ મિલાવનારા મુકેશ અંબાણી હવે ભાજપ સાથે દોસ્તી કરવાના મૂડમાં છે..એવા સમાચારો સામે આવ્યા છે કે એક સમયે જીગરજાન મિત્રો
 ગણાતા મુકેશ અંબાણી અને કોંગ્રેસના સંબંધો હવે એ હદે વણસી ગયા છે કે કોઈ ફેવીક્વિક પણ બન્નેના સંબંધો સાંધી નહિ શકે..વાસ્તવમાં સંબંધો બગડવાની શરૂઆત તો 2009થી જ થઈ ગઈ હતી..2009ની લોકસભા ચૂંટણી વખતે મુકેશ અંબાણીને એવી આશા હતી કે NDA જીતશે..પરંતુ થયું તેનાથી ઉલટું..મુકેશ અંબાણી અને કોંગ્રેસની દોસ્તીમાં સૌથી મોટું ભંગાણ પડયું 2011માં.કેમ કે 2011થી કોંગ્રેસને એવું લાગવા માંડયું કે મુકેશ અંબાણી હવે મોદીની નજીક સરકવા લાગ્યા છે.અને એ વાત થોડાક અંશે સાચી પણ હતી..કેમ કે 2011થી મુકેશ અંબાણી અને મોદી વચ્ચે ઘણી વખત અનૌપચારિક મુલાકાત થઈ અને વાતચીત થઈ.આ બન્નેની મુલાકાતોની તસવીરો પણ સમાચારપત્રોમાં છપાઈ..ઉપરાંત ઘણા કાર્યક્રમોમાં પણ મોદી સાથે મુકેશ અંબાણી હાજરી આપવા લાગ્યા.આ પાછળ મુકેશ અંબાણીનો છૂપો એજન્ડા હતો..2011થી મુકેશ અંબાણી મોદી તરફ એટલા માટે સરક્યાં કેમ કે તેમને એ સમયથી જ લાગવા માંડયું હતું કે 2014માં NDAની સરકાર બનશે..સમય જતા ભાજપે મોદીને વડા પ્રધાન પ્રદના ઉમેદવાર જાહેર કરતા મુકેશ અંબાણી મોદીની વધુ નજીક આવી ગયા..પીઠ પાછળ મુકેશભાઈના આવા કારનામાથી સ્વાભાવિક રીતે જ કોંગ્રેસને ખોટું લાગવા માંડયું..પરંતુ મુકેશ અંબાણીથી થતા આર્થિક લાભના કારણે કોંગ્રેસ આજ દિન સુધી તેમને અવગણી શકી નથી..અને લોકસભા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યા સુધી હજુ પણ કોંગ્રેસ મુકેશ અંબાણીને એમ નહી કહી શકે કે હવે આપણા સંબંધો પૂરા થયા..કેમ કે ચૂંટણી વખતે મુકેશ અંબાણી પાસેથી ફંડની જરૂર પણ કોંગ્રેસને પડવાની છે..પરંતુ જાણકારોનું માનીયે તો મોદીની નજીક ગયા છે એટલે મુકેશ આ વખતે સૌથી વધુ ફંડ તો ભાજપને જ આપશે..જેનો સીધો લાભ અત્યારથી જ ભાજપને મળી રહ્યો છે..હા, મુકેશ અંબાણીની કથિત દોસ્તીના કારણે કેજરીવાલ જેવા નેતાઓ મોદીને આડેહાથ પણ લેતા રહ્યા છે..કેજરીવાલ છેલ્લા 15 દિવસથી વારંવાર મોદી અને મુકેશની દોસ્તીના દાવા કરી કરી દેશભરમાં પ્રચાર કરી રહ્યા છે...હવે જો મુકેશ અંબાણી સંપૂર્ણપણે મોદીને સમર્થન આપી દેશે તો કેજરીવાલને વધુ એક મુદ્દો મળી જશે..એટલે ભાજપ સામે આ પણ એક સમસ્યા હશે..જ્યા સુધી મુકેશ અંબાણીની વાત છે તો જેવી રીતે કેજરીવાલ કહી રહ્યા છે કે હાલ મોદીને હેલિકોપ્ટર આપનારા મુકેશભાઈ ચૂંટણી પછી જો મોદી વડા પ્રધાન બને તો ઘણા ઔદ્યોગિક લાભની આશા પણ રાખશે..અને આવું તો વર્ષોથી ચાલતું આવ્યું છે..ઘણા મોટા મોટા ઉદ્યોગપતિઓ ભૂતકાળમાં પણ કોઈકને કોઈ રાજકીય પાર્ટી સાથે સંબંધ રાખતા રહ્યા છે..પરંતુ મુકેશ અંબાણીનું મોદી સમર્થિત રહેવું કોંગ્રેસ માટે જરૂર ચિંતાનો વિષય બન્યું છે..કેમ કે એક તો સાથી પક્ષો કોંગ્રેસનો સાથ છોડી ચુક્યા છે અને જે બચ્યા છે તે પણ કયા સુધી સાથ આપે તેની કોઈ ગેરન્ટી નથી.આવી સ્થિતિમાં મુકેશ અંબાણી જેવા ધનકુબેર પણ ભાજપ સાથે વળશે તો પછી થઈ રહ્યું ભારત નિર્માણ.