ગરીબી,મોંઘવારી,ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી કંટાળેલો ત્રાસેલો માનવી વધુ એક વખત એ આશાએ મતદાન કરવા જઈ રહ્યો છે કે હવે કદાચ દુખના દહાડા પુરા થશે..હા, એને એ વાત જરૂર ખબર છે કે સ્થિતિ વધુ બદલાવાની નથી..આમ છતા તેની અપેક્ષા છે કે અમે નહિ તો અમારી આવનારી પેઢી સારી રીતે જીવે તો પણ ઘણું..આ હાલત દેશના દરેક મતદારની છે.જો આમાનો જ એક મતદાર નેતાઓને સંબોધી એક ખુલ્લો પત્ર લખે તો આ પત્રમાં તેની કેવી મનોવ્યથાનું વર્ણન થાય તેનો નાનકડો પ્રયાસ અમે કર્યો છે..આ પત્રમાં કોઈ પાર્ટી વિશેષ પ્રત્યે આક્રોશ નથી.પરંતુ સમગ્ર વ્યવસ્થા પર તીખો કટાક્ષ છે..
વહાલા નેતાઓ..
ફરી ચૂંટણીનીસિઝન આવતા તમારા ચહેરા જોવાનો લહાવો મળ્યો..નહિ તો ચૂંટણી વિત્યા બાદ તમને મળવાનું તો દૂર રહ્યું પરંતુ દૂરથી પણ તમારા દર્શન દુર્લભ બ
ની જાય છે.ચૂંટણી છે એટલે તમે રોજેરોજ ઘરેઘર મળવા આવો છો.બધાને પ્રેમથી બોલાવો છો..નાના હોય કે મોટા દરેકને તમે માનથી બોલાવો છો..પરંતુ એવું ન માનતા કે આવું કરવાથી અમે તમને સારા ગણવા લાગીશું..અમને તમારી નગ્ન વાસ્તવિકતા ખબર છે..મુખ મે રામ ઔર બગલ મે છુરી જેવી તમારી માનસિકતા અમે વર્ષોથી નિહાળતા આવ્યા છીએ..અમે કયારેય એવું નથી માન્યું કે અમે ગુજરાતી,બંગાળી,મરાઠી,તામિલ, કે રાજસ્થાની છીએ.અમારા મનમાં તો પહેલાથી જ આવું અલગપણું હતું જ નહિ..આ તો તમે લોકોએ તમારા અંગત ફાયદા માટે વર્ષોથી અમારા મનમાં અલગ અલગ રાજ્યનો હોવાનું ઠસાવી દીધું છે..અમે કયારેય મંદિર મસ્જિદ કે ગુરુદ્વારામાં ભેદ રાખ્યો નથી..આ તો તમારા જેવા નેતાઓના જ કારનામા છે..તમે લોકો ભલે અલગ અલગ હોવાનો દેખાડો કરતા હોય..પરંતુ વાસ્તવમાં તમે બધા એક હી થાલી કે ચટ્ટેબટ્ટે છો..તમે જ અમને કયારેક રામના નામે તો ક્યારેક રહીમના નામે લડાવ્યા..અમને તો એ પણ ખબર નથી કે અમારો ધર્મ ખતરામાં છે..આ તો તમે ઝેરી ભાષણો આપી આપી કેટલીય પેઢીઓના મનમાં વિષ ઘોળવાનું કામ કર્યુ છે.પરિણામે હવે અમે પણ તમારી વાતોમાં આવી ગયા છીએ..પરંતું શું કરીયે, અમારી પાસે અન્ય વિકલ્પ પણ કયાં છે..ટ્રાફિકનો નિયમ તોડતા પહેલા અમને સો વખત વિચાર આવે છે કે યાંક પકડાઈ જઈશું તો આપણી છાપ કેવી પડશે?અમને નિહાળનારા અમારા વિશે કેવી ધારણા બાંધી લેશે?બીજી તરફ તમારા જેવા લોકો છે કે જે કરોડો રૂપિયાના કૌભાંડો કરતા પણ ખચકાતા નથી..અમે સામાન્ય માણસો છીએ..બે ટંકની રોજીરોટી માટે સવારથી લઈ સાંજ સુધી મહેનત કરવામાં પણ અમે પાછીપાની કરતા નથી.અને અમારી કમાણીના પૈસા તમે વિદેશ પ્રવાસના નામે ઉડાડો છો.મતદાન અમારો હક છે તે વાત બાળપણથી જ માતાપિતાએ અમને શીખવી છે..જેથી અમે દેશના ભાવિ નિર્માણ માટે મત આપી તમને વિધાનસભા કે સંસદમાં મોકલીયે છીએ..પરંતુ જે સમસ્યાના નિકાલ માટે અમે તમને ત્યા મોકલીયે છીએ તેના વિશે તમે ~યારેય ગૃહમાં બે શબ્દો બોલ્યા છો ખરા? તમને એવું લાગે છે કે આ પ્રજા તો ભુલ્લકડ છે..મોંઘવારી,ભ્રષ્ટાચાર અને કૌભાંડોને ભૂલતા અમને વધુ વાર નહિ લાગે..હા,થોડા ઘણા અંશે આ વાત સાચી પણ છે..પરંતુ એનો મતલબ એ નથી કે અમે બધું ભૂલી જઈયે છીએ..પરંતુ કરી કરીને અમે કરી પણ શું લેવાના.માતાપિતા,પત્ની અને બાળકોના ભરણપોષણની જવાબદારી નિભાવતા નિભાવતા જ અમે જિંદગી ખતમ કરી નાખીયે છીએ..જેથી અમને તમારા કાળા કામો પ્રત્યે આંખ આડા કાન કરવા પડે છે...અમે સારી રીતે જાણીયે છીએ કે તમારામાંથી ઘણા હત્યારા છે..ઘણા છેતરપીંડીમાં પાવરધા છે..ઘણા તો એવા છે જે ક્યારેય સ્કૂલે ગયા નથી..છતા આવા જ લોકો કાયદા બનાવે છે..આવા જ લોકો ખરડા પાસ કરે છે.પણ શું થાય ? અમારે કોઈકે તો ચૂંટીને મોકલવાના છે...કોઈ કહે છે અમે વિકાસ કરી દઈશું..કોઈ કહે છે અમે દેશનું વિભાજન નહિ થવા દઈએ.તો કોઈ કહે છે અમે ભ્રષ્ટાચાર ખતમ કરી દઈશું..પરંતુ હવે અમે તમને અરજ કરીયે છીએ કે વાયદા કરવાનું બંધ કરો..જે કામ તમારાથી થવાનું જ નથી તેના વાયદા કરી શા માટે અમને ઉલ્લુ બનાવો છો..અમારે તમારી પાસેથી વધારેની અપેક્ષા નથી..બસ રોટી કપડા અને મકાન જેવી પ્રાથમિક સુવિધાઓ અમને આપી દેશો તો પણ અમે રાજી થઈ જઈશું..પરંતુ તમારામાં કામ કરવાની દાનત જ નથી..અમારા સંતાનો સારું શિક્ષણ પ્રાપ્ત કરવા વલખાં મારે છે અને તમારા સંતાનો વિદેશમાં ભણે છે.બીકોમ,બીએ કે પછી ડોકટરનું ભણવા છતા અમારા સંતાનો નોકરીથી વંચિત છે અને તમારા સંતાનો ટેલેન્ટનો છાંટો નહિ હોવા છતા નેતા બની ગયા છે.પણ અમને તમારા સંતાનો સામેય કોઈ વાંધો નથી..કમ ખાઓ ગમ ખાઓના સૂત્ર સાથે અમે જેવી તેવી રીતે જિંદગી ગુજારી રહ્યા છે..ચૂંટણી છે એટલે તમે અમને દારુ પીવડાવશો.પૈસા આપશો..ગાડીમાં ફરાવશો અને પછી અમારા જ ખિસ્સા કાપશો..અમારી ફરિયાદો તો ઘણી છે.પરંતુ અમને ખબર છે કે સત્તા આગળ શાણપણ દેખાડવું નક્કામું છે..એટલે વધુ હૈયાવરાળ કાઢવાથી કોઈ ફાયદો નથી..પરંતુ છેલ્લે તમને એક અપીલ જરૂર કરીયે છીએ કે પ્લીઝ પ્લીઝ પ્લીઝ દેશને વિશ્વની મહાસત્તા ન બનાવી શકો તો કોઈ વાંધો નહિ પરંતુ કમસેકમ વિનાશના રસ્તે તો ના જ લઈ જતા,.રોટલી ન આપી શકો તો કઈ નહિ પરંતુ કમસેકમ અમે કમાયેલી રોટલી છીનવવાની ચેષ્ટા ન કરતા..અમને મંદિર મસ્જિદ ન બનાવી આપો તો કઈ નહિ પરંતુ અમારા સંતાનો નિરાંતથી સુઈ શકે તેવું વાતાવરણ બનાવો તો પણ અમારા માટે ઘણું છે. અમને ખબર છે કે તમે તો ચૂંટણી પછી અમને યાદ કરવાના નથી..પરંતુ એક વાત યાદ રાખજો કે અમે તો તમને કયારેય ભૂલતા જ નથી.અત્યારે બસ આટલું જ..
લી...દેશનો એક મતદાર

No comments:
Post a Comment